Umashankar Joshi ~ પ્રાસંગિક ઉમાશંકર 
Home PageAbout the authorBibliography, selected Works, HandwritingsPhotographs, Audio, video Current Activities and newsSanskriti MagazineAbout Gangotri TrustContact us
In his own Handwriting

umashankarjoshi.in>WORKS & VIEWS> Prasangik Umashankar

પ્રાસંગિક ઉમાશંકર

1948 મે
ગોધરા

ગોધરાનો કમનસીબ બનાવ બતાવે છે કે ગાંધીજી જેવાના બલિદાનને પણ આપણે થોડી મુદતમાં પચાવી ગયા. ગોધરાની આગના તણખા પંચમહાલમાં ચારે તરફ ઊડ્યા અને શહેર તો આખું ખાખ થયું.

આપણી નેતાગીરી આમાંથી રાજકીય મૂડી ઊભી કરવાનું ન ચૂકી એ એની બીજી કમનસીબ બાજુ છે. સામ્યવાદીઓનો આમાં હાથ છે એમ કહેવાયું અને તપાસસમિતિ આગળ બધી હકીકતો પુરવાર થાય તે પહેલાં એ મનાયું પણ ખરું. આ તકનો લાભ લઈ એક `ગાંધીવાદ'-માર્ગીએ સૂકુંલીલું બધું સાથે બાળવા, આ વર્ગવિગ્રહ જગવનારા સામ્યવાદીઓ અને સમાજવાદીઓ એ બંને દૂધભાઈઓ હોઈ એક જ છે અને એમની પાસેથી આવી જ આશા રાખવાની---એમ સૂચવી નવા સ્થપાયેલા સમાજવાદપક્ષને ઉતારી પાડવા માટે જ ગોધરાની આગનો ઉપયોગ કર્યો!

પણ ગોધરાએ પોતે જ પોતાનો પદાર્થપાઠ સ્પષ્ટ રીતે પૂરો પાડ્યો છે. બંને કોમોએ કોમી આગને પરિણામે પારાવાર વેઠ્યું છે. કોમી વૈમનસ્ય એ બેધારી તલવાર છે

એ સામાનું ને આપણું બંનેનું ડોકું કાપશે એટલી સાદી વાત ગોધરામાંથી આપણે શીખીએ તો હજી મોડું થયું નથી.

રાજ્ય બંને કોમોને એટલું જ કહે કે તમારે સાથે રહેવાનું છે, ઘરો બાળી નાખીને રહેવું હોય તો રહો, ઊભાં રહેવા દઈને રહેવું હોય તો રહો. મુંબઈ સરકારે ગોધરા માટે લીધેલાં પગલાંથી પાકિસ્તાની હાઈકમિશનરને પણ સંતોષ થયો છે એ નોંધપાત્ર બિના ગણાય.

 

This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER]